રણના કાંઠે આવેલું અને પાંડવકાળની આસ્થા સાથે જોડાયેલું લુણેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. પાટણ અને વાવ-થરાદ જિલ્લાની સરહદ નજીક, સાંતલપુર તાલુકાના ઝઝામ ગામની સીમામાં સ્થિત આ પવિત્ર સ્થળ અનોખું પૌરાણિક મહત્વ ધરાવે છે.
પ્રાચીન ‘હેડંબા વન’ અને પાંડવકાળનો સાક્ષી
-
પૌરાણિક ઇતિહાસ: દુદોસણ, બોરુ, ડાભી અને ઝઝામ ગામોની સીમમાં રણના કાંઠે આવેલો આ સમગ્ર વિસ્તાર પ્રાચીન સમયમાં ‘હેડંબા વન’ તરીકે ઓળખાતો હતો.
-
કુંતાજીની શિવપૂજા: મહાભારતકાળમાં પાંડવોએ અહીં રાત્રિરોકાણ કર્યું હતું. કુંતાજીનો દરરોજ શિવપૂજા કર્યા બાદ જ અન્ન-જળ ગ્રહણ કરવાનો નિયમ હોવાથી અહીં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની લોકવાયકા છે.
-
મહાનુભાવોની પૂજા: રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોર તેમજ ગુજરાત સેન સમાજના અધ્યક્ષ આંબાભાઈ સોલંકીએ અહીં શિવલિંગ પર જળ અને બિલીપત્ર ચડાવી પૂજા-અભિષેક કર્યો હતો.
રણ વચ્ચે ‘પાતાળ ગંગા’નો ચમત્કાર
-
મીઠો જળપ્રવાહ: ખારા રણ વિસ્તારની બિલકુલ નજીક હોવા છતાં આ સ્થળે કુદરતી રીતે જ ‘પાતાળ ગંગા’નો મીઠો જળપ્રવાહ સતત વહેતો રહે છે, જે ભક્તો માટે અદ્ભુત ચમત્કાર સમાન છે.
-
શ્રાવણી મેળો: પવિત્ર શ્રાવણ માસના દર સોમવારે અહીં હજારો ભક્તો ભોળાનાથના દર્શનાર્થે ઉમટી પડે છે. અહીં દર્શન માત્રથી તમામ મનોકામનાઓ પૂર્ણ થવાની ગાઢ શ્રદ્ધા રહેલી છે.
કુંડ અને પરપોટા (બરબડીયા) સાથે જોડાયેલી માન્યતા
-
સિક્કો અને માનતા: મંદિર પરિસરમાં આવેલા પવિત્ર જળકુંડ સાથે એક અનોખી રસપ્રદ માન્યતા જોડાયેલી છે.
-
પરપોટાની શ્રદ્ધા: શ્રદ્ધાળુઓ પોતાની માનતા માનીને કુંડના પાણીમાં રૂપિયાનો સિક્કો નાખે છે. સિક્કો પાણીમાં પડ્યા બાદ જો તેમાંથી પરપોટા (બરબડીયા) થાય, તો માનેલી માનતા ચોક્કસ પૂરી થાય છે તેવી લોકવાયકા છે.









