દેશનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં મેરિટાઈમ ટુરિઝમની ક્ષમતાઓને વિકસાવવા માટે રાજ્યના 17 લાઇટહાઉસ (દીવાદાંડીઓ)ને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. પરંપરાગત રીતે માત્ર જહાજોને માર્ગ દર્શાવતી આ દીવાદાંડીઓ હવે સંસ્કૃતિ, પ્રવાસન અને દરિયાઈ વારસાના જીવંત કેન્દ્ર તરીકે ઊભરી આવશે.
આધુનિક સુવિધાઓ અને ‘લાઈટહાઉસ મ્યુઝિયમ’
-
વિકસાવવામાં આવેલા મુખ્ય સ્થાનો: માંડવી, ઓખા, પોરબંદર, દ્વારકા, માંગરોળ, અલંગ, ઘોઘા, હજીરા, વલસાડ ખાડી, ગોપનાથ, વેરાવળ અને ઉમરગામ સહિત કુલ 17 સ્થળોના લાઈટહાઉસને વિકસાવવામાં આવ્યા છે.
-
પ્રવાસીઓ માટે સુવિધાઓ: કેફેટેરિયા, સુશોભિત બગીચા, ગઝિબો, લિફ્ટ, બાળકો માટે પ્લે એરિયા, એમ્ફિથિયેટર અને લાઈટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ ઊભી કરાઈ છે.
-
દ્વારકા અને ગોપનાથમાં મ્યુઝિયમ: લાઈટહાઉસ ટેકનોલોજીના ઈતિહાસ અને ભારતના પ્રાચીન દરિયાઈ વારસાને દર્શાવતા ખાસ ‘લાઈટહાઉસ મ્યુઝિયમ’ દ્વારકા અને ગોપનાથ ખાતે તૈયાર કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારની દેશભરમાં 75 લાઈટહાઉસ વિકસાવવાની પહેલ
-
કેન્દ્રીય યોજના: Marine Aids to Navigation Act, 2021 ની કલમ 23 હેઠળ દેશભરમાં 75 લાઈટહાઉસને ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાના વિઝન અંતર્ગત ગુજરાતે મોટી સફળતા મેળવી છે.
-
દરિયાઈ વારસાને પ્રોત્સાહન: ગુજરાતમાં 2,340.62 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. આ ઉપરાંત અમદાવાદના લોથલ ખાતે ભારતનું પ્રથમ ‘નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ’ (NMHC) પણ આકાર લઈ રહ્યું છે, જે ગુજરાતના દરિયાઈ ઈતિહાસને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવશે.









